Thursday, November 27, 2014

27-11-2014

મૅનેજમેન્ટનું એક સોનેરી સૂત્ર છે: 
કોઈ પણ સમસ્યાનું કાયમી સમાધાન નથી હોતું. 

પ્રશ્ન ઊભો થાય તો એનું નિરાકરણ લાવવા અત્યાર સુધી જે વિચારો કારગત નીવડ્યા હોય એ જ વિચારોનો આધાર રાખવો પણ મૂર્ખાઈ છે. 


સૂરજ ચમકતો હોય ત્યારે જ ગળતું છાપરું રિપેર કરી લેવું જોઈએ. 

આપણી સૌથી મોટી મુસીબત એ છે કે સંઘર્ષના સમયે જ આપણે સંઘર્ષ કરવાનો છોડી દઈએ છીએ

માણસ ઝઘડો કરતી વખતે કેવી રીતે વર્તે છે એના પરથી એની ખાનદાનીનું માપ નીકળતું હોય છે. 

વૃક્ષ કુહાડીને કહેતું હોય છે કે મારું લાકડું તારો હાથો બન્યું ત્યારે જ તો તું મને કાપે છે

ટેન્શનના સમયે પણ કામ કરતા રહેવા માટે યાદ રાખવું જોઈએ કે અંતે તો જિંદગી ઉલ્લાસમય છે, ઘોર અસલામતીભરી નહીં. 

છરીનો ઘા રુઝાઈ જતો હોય છે, જીભનો નહીં. 

સુખી થવાના બે જ માર્ગ છે: કાં તો ઈચ્છાઓ ઘટાડીએ, કાં ઈચ્છાઓ સંતોષવાના માર્ગ વધારીએ.

ખોટું કામ કરવાનો સાચો રસ્તો કોઈ નથી. 

કાયમી આનંદ જેવું કશું હોતું નથી, જે હોય છે તે આનંદની ક્ષણો જ હોય છે. 

જે વ્યક્તિ કકળાટ કરવાને બદલે બહાદુરીપૂર્વક હસતાં પોતાનાં તમામ માનસિક - ભૌતિક દુખદર્દ સહન કરે છે એ સૌના આદરને પાત્ર બની જાય છે. 

જેને કારણે તમારા કામમાં અને તમારી જિંદગીમાં આનંદ વધે એવી જ વાતો વિચારો અને એવી જ વાતો બોલો. 

કોઈપણ કામ કરતી વખતે વિચારવાનું પણ રાખો, કારણ કે તમારે માત્ર અત્યારની સમસ્યાઓનું નિરાકરણ નથી લાવવાનું, ભવિષ્યમાં આવી શકનારી સમસ્યાઓ વિશે પણ સજાગ રહેવાનું છે

મિત્રને પણ તમારી ખાનગી વાતને ખાનગી રાખવાનો ભાર સોંપતા પહેલાં બે વાર વિચાર કરો. જે કૂંજો વારંવાર કૂવા પાસે જાય છે તે અંતે ફૂટી જાય છે.

કોઈક વાત વિશે સો ટકા ખાતરી રાખવા માટે કાં તો એ વિશે પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ અથવા બિલકુલ ન હોવી જોઈએ. 

કોઈકનો સાથ લેવા એની સાથે ચાલો. 

નવા મિત્ર પર નહીં, જૂના શત્રુ પર ભરોસો રાખો

કશુંક પસંદ નથી એવું કહેતાં પહેલાં એનો અનુભવ લઈ જુઓ. 

એક વાત યાદ રાખો કે કોઈક તમને નકારી કાઢે છે ત્યારે એ તમને ભવિષ્યમાં આવનારી વધારે ખરાબ પરિસ્થિતિઓમાંથી ઉગારી લે છે. 

મોટી સમસ્યાઓમાં મોટી તક છુપાયેલી હોય છે. 

જિંદગીમાં જે કંઈ મળ્યું છે એનાથી સંતોષ માનો, કારણ કે આટલું પણ તમને તમારી લાયકાત કરતાં વધુ મળ્યું છે.

દોષ વિનાના માણસો શોધવા જઈશું તો મિત્ર ક્યારેય નહીં મળે. 

ગુસ્સામાં, આવેશમાં કે નશામાં જે બોલાઈ જતું હોય છે તે અગાઉ ક્યારેક વિચારેલું જ હોય છે. 

કટોકટીના બે અર્થ થતા હોય છે: એક - ખતરો અને બે - તક.

સત્યનું તીર તાકતાં પહેલાં એનું ફણું મધમાં બોળી લેવું

જિંદગીમાં તમે કંઈ પણ મેળવી શકશો, જો એને માટે બધું જ ગુમાવવા તૈયાર હશો તો. 

કોઈને ચૂપ કરી દેવાથી એનું પરિવર્તન કરી શકાતું નથી. 

બીજાને દગો દેતી વખતે તમે તમારી જાતને પણ દગો આપો છો. 

કબૂલાત કરી લીધા પછી પાપનું રૂપાંતર સત્યમાં થઈ જતું હોય છે

જ્યારે કંઈ પણ કરો તોય એનો અર્થ ન સરે એમ હોય ત્યારે કશુંય ન કરો.

કૂવો ખાલી થઈ ગયા પછી જ તરસની કિંમત સમજાતી હોય છે. 

મધમાખીની જેમ જેમના મોઢામાં મધ હોય છે એમની પૂંછડીમાં ડંખ હોય છે. 

દરેક અસંતોષનું કારણ સરખામણી હોય છે. 

જે માણસ પહેલી ભૂલ કરીને એને સુધારી નથી લેતો એ બીજી ભૂલ પણ કરે છે. 

તમને પાડી નાખે એવા ઘોડા કરતાં તમારો સામાન ઊંચકતો રહે એવો ગધેડો સારો. 

જ્યાંથી પાછા ફરી ન શકીએ એવી કોઈ જગ્યાએ જવું નહીં. 

ભૂલ કરવા કરતાં મોડું કરવું સારું. 

જીવનસાથીની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખો કે જીવનમાં આવનારા આનંદ અને દુ:ખનો અડધોઅડધ હિસ્સો તમારા પોતાને કારણે આવવાનો છે. 

જિંદગીનાં બે જ લક્ષ્ય હોઈ શકે: એક - જે જોઈએ છે તે મેળવવું. અને બે - એ મળી ગયા પછી એને માણવું. બહુ ઓછા લોકો આ બીજા લક્ષ્યને સાકાર કરી શકે છે. 

કીડી માટે વરસાદનાં થોડાંક ટીપાં પણ પૂર સમાન છે. 

દરેક સમસ્યા સાથે એનો ઉકેલ જન્મતો હોય છે. 

કપડાંની જેમ કારકિર્દી પણ અલગ અલગ માપકદની પહેરી જોયા પછી જ બંધબેસતી આવે છે. 

જે થવાની ધારણા રાખી હોય એ જ થતું હોય છે. 

ગરુડની જેમ ઊંચે ઉડ્ડયન કરવાની ક્ષમતા કેળવાયા પછી જ તમારા પર પારધીઓની નજર પડતી હોય છે.

ગુડ મોર્નિંગ - (સૌરભ શાહ) માંથી સાભાર

Saturday, November 15, 2014

15-11-2014

સૌરભ શાહના ગુડ મોર્નિંગ લેખમાંથી
 

આરંભ કઠિન હોય તો જ અંત મધુર બને 

ઉંમર વધવાની સૌથી મોટી મઝા એ છે કે જુવાનીમાં જે વસ્તુઓની તીવ્ર ઈચ્છા હતી પણ પોસાતી નહોતી તે વસ્તુઓની હવે તમને જરૂર જણાતી નથી

 તમારા વિશે બધું જ જાણવા છતાં જે તમને ચાહે છે એ જ વ્યક્તિ તમારી મિત્ર છે.

 કોઈ જોતું નથી એવું લાગે ત્યારે આપણે જે કંઈ કરીએ છીએ એ જ આપણું સાચું ચારિત્ર  છે

ગુલાબ કરમાય છે પણ એના કાંટા સીધા જ રહે છે!

ખુલ્લા બારણાની ચાવી શોધવા ન જવાય.

ધનિક થઈ ગયેલા ભિખારી જેવો અભિમાની બીજે ક્યાંય નહીં મળે.

જેના કહી રાખેલા વિચારને બીજા કોઈ જાણતા નથી, પણ જેના સિદ્ધ થયેલા કાર્યને જ બીજાઓ જાણે છે તે જ ડાહ્યો કહેવાય છે

ક્યારેય કોઈનાય મોઢે કહેવું નહીં કે મને તમારામાં વિશ્ર્વાસ નથી.

આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ, કો મૃત્યુ પૂર્વ ન સંપૂર્ણ બુદ્ધ.

જે જે પ્રાપ્ત થતો ઉપાધિયોગ, બની રહો તે જ સમાધિયોગ.

બધું જ અનુકૂળ, એક પ્રતિકૂળ છું હું મને.

દરેક વ્યક્તિની જરૂર હોય છે અને કોઈ વ્યક્તિ અનિવાર્ય હોતી નથી.

એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજો ઉઘડતો હોય છે.

દરેક વ્યક્તિ કંઈક ને કંઈક વેચીને ગુજરાન ચલાવતી હોય છે.

કેટલાક સંબંધનું મૂલ્ય એ જાળવવા માટે કરવા પડતાં સમાધાનો જેટલું નથી હોતું.

દરેક કામ ધાર્યા મુજબનું જ થવું જોઈએ એવી સંપૂર્ણતાનો આગ્રહ ધીમે ધીમે થતા મૃત્યુ સમાન છે. દરેક ઘટના મેં જે રીતે ધારી હતી એ જ રીતે બને, મેં જે રીતે એનું આયોજન કર્યું હતું એ જ રીતનું એનું પરિણામ આવે તો હું નવું કશું જ અનુભવી શકીશ નહીં. મારી જિંદગી વાસી થઈ ગયેલી જૂની સફળતાઓનું કંટાળાજનક પુનરાવર્તન જ બની જશે. દરેક ભૂલ સાથે હું કશુંક નવું, કશુંક અણધાર્યું બનતું હોવાનો રોમાંચ અનુભવું છું.’